Monday 22 July 2013

જયકૃષ્ણ ઇન્દ્રજી

જયકૃષ્ણ ઇન્દ્રજી
          જયકૃષ્ણ ઇન્દ્રજી  એક વનસ્પતિશાસ્ત્રી હતા તેમણે વનસ્પતિઓના ઊંડાણથી અભ્યાસ કરીને એના ગુણદોષો બતાવ્યા હતા. એમનો જન્મ ગુજરાતના કચ્છમાં આવેલા લખપત ગામમાં ઇ.સ. ૧૮૪૯ માં થયો હતો. એમના પિતાનું નામ ઇન્દ્ર હતું. તેઓ જાતે બ્રાહ્મણ હતા. પિતા વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ મુખી હતા. આથી આવક ઓછી હતી. જયકૃષ્ણને ચાર ભાઇ હતા.મોટાભાઇનું નામ રામકૃષ્ણ હતું, તેઓ સારા પુરાણી હતા. એમને આખુ ભાગવત મોઢે હતું. બીજા નંબરના ભાઇનું નામ પરમાનંદ હતું, તેઓ એક સારા જ્યોતિષ હતા. તેમને વિજ્ઞાનનું જ્ઞાન સારું હતું. ત્રીજા નંબરના ભાઇનું નામ ભાણજીભાઇ હતું. તેઓ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ સારું જાણતા હતા. ચોથા નંબરના ભાઇ તે આપણા વનસ્પતિ શાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી.પાંચમા નંબરના ભાઇનું નામ વાલજી ભાઇ હતું તેઓ સારા ભજનિક હતા. આમ પાંચેય ભાઇઓ જુદી જુદી શાખાઓનું જ્ઞાન ધરાવતા હતા.
             જયકૃષ્ણએ પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળમાં લીધું. એ સમયે ગામડામાં ગામઠી શાળાઓ ચાલતી. ત્યારબાદ તેઓ પોતાના મોટાભાઇ સાથે મુંબઇ ગયા અને બહેરામજી પારસીની અંગ્રેજી શાળામાં દાખલ થયા અને વધુ અભ્યાસ માટેજી.ટી હાઇસ્કૂલમાં દાખલ થયા. ત્યારબાદ મોટાભાઇ સાથે તેઓ મથુરા ગયા. ત્યાં તેઓ મોટાભાઇની પુસ્તકોની દુકાન પર બેસતા ત્યાં તેમને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી સાથે ઓળખાણ થઇ તેઓ વનસ્પતિશાસ્ત્ર જાણતા હતા. આથી કુદરતી રીતે જ જયકૃષ્ણ ઇન્દ્રજીને વનસ્પતિશાસ્ત્રનો શોખ જાગ્યો. પોતાનો શોખ પૂરો કરવા તેઓ ભગવાનલાલ સાથે પ્રવસો કરવા લાગ્યા. પછી તો તેઓ વનસ્પતિશાસ્ત્રનો પધ્ધતિસર અભ્યાસ કરવા લાગ્યા. એમણે અનેક વનસ્પતિના નામ જુદી જુદી ભાષામાં શીખી લીધાં અને તેની ઓળખાણ કરવા લાગ્યા. કચ્છ ઉપરાંત તેઓ બરડાના ડુંગરોમાં તેઓ રખડ્યા અને ઢગલાબંધ નવી-નવી વનસ્પતિ જોવા મળી અને તેના ગુણદોષ અને ઉપયોગ જોયા. આ પછી જયકૃષ્ણભાઇએ વનસ્પતિશાસ્ત્રના પારંગત ડૉ. સખારામ અર્જુન પાસેથી વધુ જ્ઞાન મેળવ્યું. એવામાં ડૉ.સખારામ ગુજરી ગયા. તેઓ નિરાશ તો થયા પરંતુ પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા.
         એમની ધગશ જોઇ વનસ્પતિશાસ્ત્રના ઊંડા અભ્યાસી ડૉ.મેકડોનાલ્ડ એમની મદદે આવ્યા અને માર્ગદર્શન અને સહકાર આપ્યો. આ પછી જયકૃષ્ણજી પોરબંદર રાજ્યની નોકરી સ્વીકારી. તેઓ જંગલ ખાતાના ઉપરી તરીકે નિમાયા.  એવખતે રાષ્ટ્રીય મહાસભાના આશ્રયે બરડાના ડુંગરની વનસ્પતિનું એક પ્રદર્શન ભરાયું. આ પ્રદર્શનમાં એમણે વનસ્પતિના અનેક નમૂનાઓ મોકલ્યા. આથી ઇનામમાં તેમને નવ ચાંદ મળ્યા. એમણે ઘોડાકૂનનાં મૂળિયાંની શોધ કરી જે અનેક રોગો માટે ખાસ ઉપયોગી હતી. ઇ.સ. ૧૯૦૪ ની ડિસેમ્બરની પહેલી તારીખે તેઓ નિવૃત થયા.
                 હવે વનસ્પતિશાસ્ત્રનું ખૂબ જ્ઞાન તેમને પ્રાપ્ત થયું હતું. એમના અનુભવોના આધારે તેમણે વનસ્પતિશાસ્ત્ર નામનું પુસ્તક લખવા માંડ્યું. ત્રણ વર્ષ સુધી તેમણે આ પુસ્તક લખ્યું અને પૂરું કર્યું. ઇ.સ. ૧૯૧૦ માં એ પુસ્તક પ્રકાશિત થયું. વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત એમણેવનવિદ્યા’, બજારના ઓસડિયાં’, કચ્છની જડીબુટ્ટી વગેરે પુસ્તકો લખ્યા.

         ૭૬ વર્ષની ઉંમરે તેઓ બીમાર પડ્યા. એવામાં તેમના પુત્રી સુવાવડમાં ગુજરી ગયા અને આઘાત લાગ્યો. ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ ઇ.સ. ૧૯૩૨ માં મરણ પામ્યા.       

No comments: