Thursday 11 July 2013

વેણુ બાપ્પુ

વેણુ બાપ્પુ
         અવકાશી સંશોધનોમાં ગ્રહો,તારા અને ધૂમકેતૂઓ વિગેરેનો ખૂબ  જ ઊંડો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનમાં અનેક સાધનો પદ્ધતિઓ વિકસ્યા છે કે જેના વડે અવકાશી પદાર્થોની વધુ ને વધુ માહિતી મેળવી શકાય છે. આવા સંશોધનોમાં વિશ્વભરમાં ભારતને પ્રતિષ્ઠા  અપાવનાર ભારતીય ખગોળશાસ્ત્રી ડૉ.વેણુ બાપ્પુનો ફાળો અનન્ય છે.
        ડૉ. વેણુ બાપ્પુનો જન્મ ઇ.. ૧૯૨૭ ના ઑગસ્ટની નવમી તારીખે દક્ષિણ ભારતના એક શહેરમાં થયો હતો. સ્થાનિક શાળામાં પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂરો કરી તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયા હતા.ઉચ્ચક્રમે ગ્રેજ્યુએટ વેણુ બાપ્પુ વધુ અભ્યાસ માટે  અમેરિકા ગયા હતા અને ત્યાંની હાવર્ડ યુનિવર્સિટીમાંથી ખગોળ વિજ્ઞાનમાં પી.એચ.ડી ની પદવી  પ્રાપ્ત કરી હતી.
          અમેરિકામાં જ તેમણે ખગોળીય સંશોધનો કરવાનું શરૂ કર્યુ હતું. .. ૧૯૪૯ માં તેમણે અન્ય સાથી વિજ્ઞાનીઓ સાથે મળીને એક નવો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો. તે ધૂમકેતુ બપુ-બોક-ક્રિક ધૂમકેતુના નામે ઓળખાય છે.
        વેણુ બાપ્પુએ તારાઓના ભૌતિકશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરેલો. તારાઓના રંગ અને ઉષ્ણતામાન વચ્ચે સંબંધ હોવાનું તેમણે શોધી કાઢ્યું હતું.
        વિલ્સન બાપ્પુ ઇફેક્ટ તરીકે વિખ્યાત થયેલી આ શોધે તેમને વિશ્વમાં પ્રતિષ્ઠા અપાવી હતી. અમેરિકાથી પરત આવીને ભારતમાં નૈનિતાલની વેધશાળામાં જોડાયા. ત્યાં થોડો સમય સંશોધનો કરીને તેઓ બેંગલોરમાં સ્થાયી થયા અને ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સની સ્થાપના કરી અહીં તેમણે નવાં અને સક્ષમ  ટૅલિસ્કોપ વિકસાવવાના સંશોધનો કર્યા.

       દેશમાં અનેક ટૅલિસ્કોપ અને વેધશાળા ની રચના કરવામાં તેમનો ફાળો મહત્વનો છે. કોવલુર ખાતે દેશનું સૌથી મોટું ટેલિસ્કોપ તેમણે સ્થાપેલું હતું. તેને આજે વેણુ બાપ્પુ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. ખગોળશાસ્ત્રમાં આપેલા અનન્ય પ્રદાન બદલ તેમને ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવામાં આવ્યો હતો. અંતિમ દિવસોમાં તેઓ કિડનીની બીમારીમાં સપડાયા અને સારવાર માટે જર્મની લઇ જવામાં આવ્યા જ્યાં૧૯૮૨ માં તેમનું અવસાન થયેલું.      

No comments: