Monday 26 August 2013

૨૭ મી ઑગસ્ટ

મધર ટેરેસા

           દીન દુ:ખીઓની નિ:સ્વાર્થ સેવા બજાવનાર દયાની દેવીનો જન્મ તા. ૨૭-૦૮-૧૯૧૦ ના રોજ યુગોસ્લાવિયામાં થયો હતો. અઢાર વર્ષની વયે તેઓ ખ્રિસ્તી ધર્મમાં જોડાયા. પછીથી એમની  નિમણૂક સેન્ટ મેરિઝ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે થઇ. શિક્ષણકાર્યને તિલાંજલિ આપી, સેવા કાર્ય અપનાવ્યું. તેમણે ગરીબોને અન્નદાન, દર્દીઓને માટે દવાખાના, બાળકો માટે શાળાઓ, રક્તપિત દર્દીને આશ્રયસ્થાન જેવી પ્રવૃતિઓ કરી. માનવતાના આ સેવાકાર્યો માટે મધર ટેરેસાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેના ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમાં મેગ્સેસ એવોર્ડ,પોપઝોન પીસ પ્રાઇઝ, જવાહરલાલ નહેરુ એવોર્ડ, ભારતરત્ન અને નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. નિ:સ્વાર્થ સેવા કરનાર વિદેશી સન્નારી મધર ટેરેસાની ચિરવિદાયથી શૂન્યાવકાશ સર્જાયો છે.   

૨૬ મી ઑગસ્ટ

ડૉ. મોતીચંદ્ર

           મૌલિક સંશોધન-લેખન દ્ધ્રારા પ્રથમ કક્ષાનું પ્રદાન કરી ગયેલા ડૉ. મોતીચંદ્રનો જન્મ કાશીમાં ૨૬-૦૮-૧૯૦૯ના રોજ થયો હતો. એમ..થઇ પીએચ.ડી. ની ડિગ્રી મેળવી. તેઓની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ની કેન્દ્રીય સલાહકાર સમિતિમાં વરણી થયેલી. તેમને ભારત સરકાર દ્રારા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમનું સંસ્કૃતનું જ્ઞાન ઊંચી કોટીનું હતું તેમણે પાલિ, પ્રાકૃતિ અને અપભ્રંશ ભાષાઓનું પણ અધ્યયન કર્યું હતું. . ૧૯૭૪માં ડિસેમ્બર માસમાં તેમનો દેહવિલય થયો

૨૫ મી ઑગસ્ટ

હરિનારાયણ આચાર્ય

                  વનેચર ના ઉપનામથી આખું ગુજરાત જેમને ઓળખે તે ખ્યાતનામ પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્યનો જન્મ વિરમગામમાં ૨૫-૦૮-૧૮૯૭ના રોજ થયો હતો. શિક્ષણ પૂરું કર્યા બાદ કાયદાના અભ્યાસ માટે થોડો સમય મુંબઇમાં ગાળ્યો હતો. એમનું સંસ્કૃતનું તથા વેદાંતના વિષયોનું જ્ઞાન કૉલેજકાળથી સારું હતું. ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ અધ્યાપક પ્રિય થઇ પડયા હતા. ફુરસદના સમયે ચોતરફ ભટકીને પ્રાણીજીવનના વિવિધ પાસાઓનું જ્ઞાન એમણે સંપાદન કર્યું. પ્રાણીજીવન, વનસ્પતિ સૃષ્ટિના પ્રચાર- પ્રસાર અર્થે તેમણે અમદાવાદ પ્રકૃતિ ત્રૈમાસિક શરૂ કર્યુ પ્રકૃતિ વિજ્ઞાનની એમની ગુણવિશેષતાને લીધે ૧૯૪૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. એમનાપ્રયાસથી ગુજરાતમાં ગુજરાત પ્રકૃતિમંડળ ની સ્થાપના થઇ હતી. કુમારમાં આવતી લેખમળા વનવગડાના વાસી એ જબ્બર આકર્ષક ઊભું કર્યું હતું. ૧૯૮૪માં ૮૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.    

૨૪ મી ઑગસ્ટ

નર્મદાશંકર દવે
               પ્રેમ અને શૌર્યની કવિતાઓ ગાનાર અને નીડર પત્રકાર નર્મદનો જન્મ તા. ૨૪-૦૮-૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. મિત્રોની સહાયથી તેણે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી, સુરત-રાંદેરમાં નોકરી સ્વીકારી. ટૂંકા ગાળામાં જ નોકરી છોડીને કલમને ખોળે જીવન વીતાવવાનો નિર્ણય કર્યો નર્મદકોશ, નમમર્દ સર્વ સંગ્રહ, નર્મદનું ગદ્ય મંદિર વગેરે તેના ચિરસ્થાયી સર્જનો છે. સુધારાની પ્રવૃતિ અને પ્રગતિ માટે તેણે ડાંડિયાનામનું પત્ર પ્રગટ કર્યું. . ૧૮૮૬ના ફેબ્રુઆરી માસમાં તેમનું અવસાન થયું


૨૩ મી ઑગસ્ટ

લાભશંકર ત્રવાડી
              લાભશંકર ત્રવાડીનો જન્મ ૨૩-૦૮-૧૮૪૫ ના રોજ અમદાવાદ નજીકના એક ગામડામાં થયો હતો. તેમની અભ્યાસ સિધ્ધિને કારણે હાઇસ્કૂલમાં શિક્ષક બન્યા. ઉત્તરો ઉત્તર બઢતી મેળવતા જઇ તેઓ જજ બન્યા.ત્યાંની પ્રજાએ તેમની અનન્ય સેવા બદલ તેમને દેવ-મુનસફનું અભિધાન આપ્યું હતું. પોતાના ગુરૂ મહિપતરામનું અવસાન થયું ત્યારે તેમની સ્મૃતિમાં લાભશંકરે અમદાવાદમાં મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ ની સ્થાપના કરી હતી. નિવૃતિ બાદ અમદાવાદમાં વસી ૧૪૪ જેટલા પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. તેઓમાં લાભશંકરભાઇનું નામ મોખરે છે. અંગ્રેજ સરકારે કૈસરે હિંદ, રાવ બહાદુર અને સર્ટિફિકેટ ઓફ મેરિટના માન આપી એમની બહુમુખી પ્રતિભાને નવાજી હતી.  


૨૨ મી ઑગસ્ટ

રામશાસ્ત્રી પ્રભુણે

            મહાન ન્યાયમૂર્તિ રામશાસ્ત્રી પ્રભુણેનો જન્મ સતારા પાસેના એક ગામમાં ૨૨-૦૮-૧૭૨૦ ના રોજ થયો હતો. નાનપણથી જ તેઓ બનારસ ગયેલા અને ત્યાં શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્વાન બનેલા.નાનાસાહેબા પેશ્વાના ધર્મખાતામાં નોકરીએ જોડાયા હતા. રામશાસ્ત્રીની વિદ્વતા, ન્યાયપારાયણતા અને નિ:સ્વાર્થતાથી પ્રભાવિત થઇ ને માધવરાય પેશ્વાએ તેમને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. પેશ્વાઓના રાજ્યોમાંથી વેટની પ્રથા સદંતર બંધ કરવાનું શ્રેય રામશાસ્ત્રીના ફાળે જાય છે. ભેટ-સોગાદોથી અલિપ્ત રહી જેમણે પ્રામાણિકતા અને નિસ્પૃહતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.  

Tuesday 20 August 2013

૨૧ મી ઑગસ્ટ

કાકા કાલેલકર

         દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ ૧૮૮૫ માં મહારાષ્ટ્રના બેલગામમાં થયો હતો. પિતાની સાથે વિવિધ સ્થળો તેમણે જોવા મળ્યા. આ કારણે તેમનો પ્રવાસ પ્રેમ વધ્યો. તેમણે હિમાલયનો લગભગ ૩૫૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યો. ખગોળ વિદ્યા,તારાદર્શના ના પણ તેઓ અભ્યાસુ હતા. આના પરિણામ સ્વરૂપ પૂર્વરંગ’, જીવન સંસ્કૃતિ’, જીવનનો આનંદ’, હિમાલયનો પ્રવાસ’, સ્મરણ યાત્રા’, રખડવાનો આનંદ વગેરે અનેક ગ્રંથો કાકાસાહેબે આપણને આપ્યા. સવાઇ ગુજરાતી નું બિરુદ પામેલા સાહિત્યકાર કાકાસાહેબનું ૯૬ વર્ષની વયે ૨૧-૦૮-૧૯૮૧ ના રોજ અવસાન થયું. 

૨૦ મી ઑગસ્ટ

અવિનાશ વ્યાસ

               ગીત ગરબાને ગુજરાતને ઘેર-ઘેર ગુંજતા કરનાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાવાનો શોખ હતો. મુંબઇની નેશનલ ગ્રામોફોન કંપની સાથે સંપર્ક થતાં તેમના એક ગીતનું  રેકોર્ડિંગ  કર્યું. ત્યારપછી તો આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા લાગ્યા. અવિનાશ ભાઇએ મુંબઇમાં તેમના સૌપ્રથમ નૃત્યરૂપક જય સોમનાથનું સર્જન કર્યું હિન્દી,ગુજરાતી બંને ભાષાની ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. એમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહોમાં દૂધગંગા, સથવારો, વર્તુળ વગેરે મુખ્ય છે. લગભગ ૧૨૦૦૦ જેટલા ગીતો તેમણે લખ્યા છે. ૨૫૦ જેટલી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી નો ઇલ્કાબ એનાયત કરી સન્માનિત કર્યા હતા આદ્યશક્તિ મા અંબાના ભક્તરાજ સંગીતકાર અવિનાશ વ્યાસનું ૨૦-૦૮-૧૯૮૪  ના રોજ અવસાન થયું. 

૧૯ ઑગસ્ટ

જેમ્સ વૉટ

                          વરાળથી ચાલતા એ ન્જિનના સુધારક જેમ્સ વૉટનો જન્મ ઇ..૧૭૩૬ માં સ્કોટલેન્ડના એક ગામમાં થયો હતો.તેણે ભણવામાં કશું ધ્યાન ન આપ્યું. કારણ કે એનું ધ્યાન નાનકડાં ઓજારોમાં હતું. ગણિત અને ભૂમિતીમાં જેમ્સને અંત્યત રુચિ હતી. દરમિયાન યુનિવર્સિટીમાં ગાણિતીક ઓજારો બનાવનારની જગ્યાનો સ્વીકાર કર્યો. એન્જિનમાં થતો શક્તિનો દુર્વ્યય રોકતું એક કન્ડેન્સર બનાવીને જેમ્સે આ આ મુશ્કેલીઓનો ઉકેલ શોધ્યો.વરાળશક્તિની મદદથી ચક્ર ઘુમાવવાનું કામ પાર પાડ્યું. તેમણે પોતાના એક ડૉક્ટરમિત્રની સહાયથી એન્જિન ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું. જ્યાં સુધી તમામ મોટા કરખાનાઓમાં વરાળ એન્જિનો જ કામ કરતા હતા. એ પછી જ્યોર્જ સ્ટીફન્સને રેલગાડીનું એન્જિન બનાવ્યું. છેક ૮૨ વર્ષની વયે શિલ્પોની પ્રતિકૃતિઓ ઉતારનાર યંત્રની પણ તેણે શોધ કરી હતી.વીજળીની શક્તિનુ એકમ વોટનું નામકરણ પર જેમ્સ વોટના નામ પરથી કરવામાં આવ્યું. ૧૯-૦૮-૧૮૧૯ના રોજ એમનું અવસાન થયું.  

પાવાગઢ

           પાવાગઢ   ગુજરાતના શક્તિપીઠોમાંનું એક મહત્વનું પીઠ છે. પાવાગઢ પર્વત એ મહાકાળી માતાનું પ્રાચીન ધાર્મિક સ્થાન છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતો આ પર્વત અને એની તળેટીમાં સૂતેલી ઇસ્લામી નગરી ચાંપાનેર હાલોલથી ૭ કિ.મી. દૂર આવેલાં છે.

           વનરાજ ચાવડાના સેનાપતિ ચાંપા વણિકની યાદમાં તેણે આ નગર આઠમી સદીમાં બંધાવ્યું હતું. પતાઈ વંશના રાવળ રાજાઓ અહીં સત્તાધીશ હતા. રાવળ રાજા પતાઈ જયસિંહના હાથમાં ચાંપાનેર હતું. મહંમદ બેગડાએ વિક્રમ સંવત ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૪માં) પાવાગઢ લીધું. મહંમદ બેગડાના હાથે એ સ્થાનનો અને એ રાજ્યનો નાશ થયો, પરંતુ મહાકાળીના પ્રતાપે અને તેના સતથી હજી પણ આ સ્થાનનું મહત્વ દેવી તીર્થ તરીકે જળવાઈ રહ્યું છે.
       પાવાગઢ ડુંગર ઉપર આવેલું મહાકાળીનું મંદિર ૨૭૨૦  ફૂટની ઊંચાઈ ઉપર છે, ચાંપાનેરથી પાવાગઢ જતાં શરૂઆતમાં જ વિશ્વામિત્રી નદી આવે છે. ત્યાં મજબૂત કિલ્લેબંધીનો નીચલો કોટ આવે છે. પર્વત ઉપર આગળ ચઢવા માટે વિવિધ દરવાજા જેવા કે અટક દરવાજો ,‘બુઢિયાદરવાજો આવે છે, જ્યાં હિના નામનું તળાવ છે . ત્યાંથી આગળ જતાં ચાર દરવાજામાંથી પસાર થવું પડે છે. આ સ્થળે રસ્તો વાંકોચુંકો, સર્પાકાર છે. અહીંથી થોડે દૂર આગળ જતાં મકાઈ કોઠારનો દરવાજો આવે છે. હજીયે જીર્ણ થયેલ મકાઈ કોઠારો દરવાજાની બાજુમાં ઊભા છે. અહીંથી આગળ વધતાં ડાબી બાજુએ ભદ્રકાળી જવાનો માર્ગ આવે છે. અહીંથી આગળ વધતાં તારા દરવાજો આવે છે. ત્યાંથી માંચી ગામ,ખાપરા ઝવેરીના મહેલ તરફ જવાય છે. તેનાથી આગળ સૂરજ દરવાજો અને ટકોરખાનનો દરવાજો આવે છે. ટકોરખાનના દરવાજામાં પ્રવેશ કરીને આપણે પાવાગઢના સૌથી ઉંચા શિખર પર પહોંચી જઈએ છીએ. અહીં તેલિયા, છાસિયું તળાવ અને દૂધિયા તળાવ નામના તળાવો આવે છે.  આ ઉપરાંત દિગંબર જૈન મંદિરો પણ  આવેલાં  છે. ૨૧૦ પગથિયાં ચડ્યા પછી મહાકાળીના મંદિરમાં દાખલ થવાય છે. ઊભા ખડકની અંદરથી કાપી કાઢેલાં આ પગથિયાં પ્રખ્યાત મહાદેવજી સિંધીયાએ બંધાવેલાં છે.
        કાળકા માતાના મંદિરની બાંધણી નાની અને સાદી છે. મંદિરના ગર્ભગૃહમાં 3 મૂર્તિઓ બિરાજે છે. ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ, જમણી બાજુએ બહુચર માતાનું યંત્ર અને વચમાં આ સ્થાનની અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ. એવું કહેવાય છે કે, આ મૂર્તિની સ્થાપના વિશ્વામિત્ર ઋષિએ કરી હતી. આને કારણે જ પર્વતમાંથી નીકળતી નદીનું નામ વિશ્વામિત્રી એવું આપવામાં આવ્યું છે. મુખ્ય શિખર ઉપર આવી પગથિયાં આગળથી પશ્ચિમ બાજુ  નવલખા કોઠાર આવેલા છે. જ્યાં પતાઈ રાવળના સમયમાં અનાજ ભરવામાં આવતું હતું.

        પાવાગઢ ઉપર આ ઉપરાંત ભોંયરાં, કૂંડો, મહેલોનાં ખંડેરો વગેરે ઘણું જોવાનું છે. આસપાસ વનસ્પતિ પણ વિવિધ અને પુષ્કળ થાય છે. ચાંપાનેરથી એક કિ.મી. દૂર વડા તળાવ છે. જ્યાં મહંમદ બેગડાના મહેલના અવશેષો પથરાયેલ છે. યાત્રાળુઓ માટે આ સ્થળ પર્યટન સ્થાન બની રહે તેવું છે. આસાપાસનાં જોવાલાયક સ્થળોમાં ચાંપાનેરમાં જામા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, મજૂરી મસ્જિદ વગેરે છે.

ઑગસ્ટ માસના દિન વિશેષ

માસ
તારીખ
 દિવસો
ઑગસ્ટ
1
લોકમાન્ય તિલકની પુણ્યતિથિ

 "
વિશ્વ સ્તનપાન દિવસ

3
હૃદય પ્રત્યારોપણ દિવસ.

4
આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ.

6
હિરોશિમા દિવસ

 "
વિશ્વ શાંતિ દિવસ

7
રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ

8
વર્લ્ડ સિનિયર સિટિઝન દિવસ.

9
નાગાસાકી દિવસ

 "
આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

 "
ભારત છોડો આંદોલન દિવસ

 "
ઑગસ્ટ ક્રાંતિ દિવસ

11
મચ્છુ દુર્ઘટના દિવસ.

12
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ

14
પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિવસ

15
ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

 "
મહર્ષિ અરવિંદ જયંતિ

16
પોંડેચેરીનો ભારતમાં વિલય દિવસ ( ૧૬ મી ઑગસ્ટ ૧૯૬૨)

19
અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ

 "
વિશ્વ ફોટોગ્રાફી દિવસ

20
રાજીવ ગાંધીનો જન્મ દિવસ( સદભાવના સંકલ્પના દિવસ)

21
મધર ટેરેસા જન્મદિવસ.

26
યુથ હોસ્ટેલ દિવસ.

29
રાષ્ટ્રીય રમત દિવસ

 "
મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ

30
લઘુ ઉદ્યોગ દિવસ