Monday 22 July 2013

ભાસ્કરાચાર્ય

ભાસ્કરાચાર્ય
              ભાસ્કરાચાર્યનો જન્મ ઇ.. ૧૧૧૪ માં થયો હતો. તેમના પિતાનું નામ મહેશ્વર હતું. એમનું ગામ સહ્યાદ્રિ પાસે આવેલું વિજ્જડવિડ હતું. ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતરત્ન હતા. એમણે રચેલા ગ્રંથનું નામ છે સિદ્ધાંત શિરોમણિ  એમાં ગોલાધ્યાયમાં એક શ્લોક આવે છે.આ શ્લોક પરથી એમ માલૂમ પડ્યું કે એમનો જન્મ ઇ.. ૧૧૧૪ માં થયો હતો.
                ૩૧ વર્ષની ઉંમરે તેમણે આ પુસ્તક લખ્યું  હતું. શાંડિલ્ય એમનું ગોત્ર હતું. સિદ્ધાંત શિરોમણિ  માં ચાર ખંડ છે. એને અધ્યાય પણ કહે છે. આ અધ્યાયોમાં પણ નાના અધ્યાયો છે. પહેલા ખંડને ભાસ્કરાચાર્ય લીલાવતી કહે છે. લીલાવતી એમની પુત્રી હતી. એના ઉપરથી આ નામ રાખ્યું છે.
               ઇ.સ. ૧૫૯૭ માં ફૈઝીએ લીલાવતી  નો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ફૈઝી લખે છે કે લીલાવતી ભાસ્કરાચાર્યની પુત્રી હતી. જ્યોતિષીઓએ એવી ભવિષ્યવાણી કરી હતી કે લીલાવતીએ કદી લગ્ન કરવા નહિ, પરંતુ ભાસ્કરાચાર્ય ગણતરી કરીને લગ્ન માટે એક શુભ મુહૂર્ત શોધી કાઢ્યું. સમય સૂચનાને માટે એમણે એક નાડિકા યંત્ર  બનાવ્યું હતું. તાંબાના વાસણમાં નીચેના ભાગે એક છેદ્ર કરવામાં આવ્યું હતું. એની મારફત પાણી જમા થાય. આ રીતે સમયનું સૂચન મળતું હતું. આ એક પ્રકારની જળઘડી  હતી. એનો ઉપયોગ પ્રાચીન જ્યોતિષશાસ્ત્રીઓ સમયની ગણતરી કરવામાં કરતા હતા.
              લીલાવતીએ કુતૂહલ વશ બનીને જ્યારે આ નાડિકાયંત્રમાં પાણી ચડતું જોયું ત્યારે એના વસ્ત્રમાંથી મોતીનો એક દાણો એ વાસણમાં પડી ગયો. આથી મોતી પેલા નાનકડા છિદ્રમાં ભરાઇ ગયું. એટલે એ યંત્ર બંધ થઇ ગયું. પરિણામે લીલાવતીના લગ્નનું શુભ મુહૂર્ત ચાલ્યું ગયું. આ થી પિતા પુત્રીને ખૂબ દુ:ખ થયું. આ પ્રસંગને ભૂલી જવા ભાસ્કરાચાર્યે જગતામાં અમર બની જાય તેવો  આ ગ્રંથ લખ્યો.
               ખરેખર લીલાવતી  એ એક રોચક ગ્રંથ છે. આ લીલાવતી ની શરૂઆતમાં વિવિધ પરિણામોના કેટલાક કોઠાઓ આપવામાં આવ્યા હતા. ઉપરાંત પરાર્ધ સુધીની સંખ્યાઓનાં નામ આપવામાં આવ્યાં છે. આ પછી પૂર્ણાંકોનો યોગ, અંતસ્ત્ર ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે છે. આ આઠ કૃત્યોને એમાં પરિકર્માષ્ટર્ક કહે છે. ત્યારબાદ અપૂર્ણાંક પરિકર્માષ્ટક, છષ્ટકર્મ, ત્રૈરાશિક, પંચરાશિક, શ્રેણી, જુદાં જુદાં પ્રકારનાં ક્ષેત્રફળો, ઘનફળ વગેરે વિષયો છે. ત્યારબાદ કુટ્ટક ગણિત સંબંધી વાતો પણ છે.
            ભાસ્કરાચાર્ય ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી તો હતા જ ઉપરાંત ઉચ્ચ પ્રકારના કવિ પણ હતા. એમની કવિતા શૈલી અનુપ્રાસ યુક્ત હતી. એમની કવિતાઓમાં ઋતુના વર્ણનમાં ચમક અને શ્લેષની સુંદર બહાર જોવા મળે છે. લીલાવતીમાં આપેલાં ઉદાહરણો શુષ્ક હોવા છતાં પણ કાવ્યમય છે.
        લીલાવતી ની ઘણી ટીકાઓ અને અનુવાદો જોવા મળે છે. સન્ ૧૮૧૬ માં ટેલરે પ્રથમ અનુવાદ અંગ્રેજીમાં કર્યો. સન્ ૧૯૧૭ માં કોલબ્રુકે પણ અંગ્રેજીમાં અનુવાદ કર્યો. ભાસ્કરાચાર્યનો બીજો ગ્રંથ છે. કરણ કુતૂહલ આ ગ્રંથ જ્યોતિષને લગતો છે. ૬૯ વર્ષની ઉંમરે ભાસ્કરાચાર્યે આ ગ્રંથની રચના કરી હતી. આથી એમ કહી શકાય કે ઘડપણમાં પણ તેઓ ઉત્સાહી અને બુદ્ધિ શક્તિવાળા હતા. આ ગ્રંથની રચના ઇ.સ. ૧૧૮૩ માં કરવામાં આવી હતી.
          પૃથ્વી ગોળ છે એવું કથન ભાસ્કરાચાર્યે ગોલાધ્યાયમાં લખ્યું હતું. જેને લોકો માનવા તૈયાર ન હતા. આ અધ્યાયમાં પૃથ્વી ગોળ હોવાના કારણો પણ એમણે  આપ્યાં હતાં, ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો એ પહેલાં તો અનેક વર્ષો પહેલાં ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કર્યો હતો. આવા કારણો સર ભાસ્કરાચાર્યની મહાનતાને પશ્વિમના વિજ્ઞાનીઓને સ્વીકારવી પડી.


  

No comments: