Monday 8 July 2013

કે. ચંદ્રશેખરન્

કે. ચંદ્રશેખરન્
      ભારતમાં ઘણા વિજ્ઞાનીઓએ ગણિત ક્ષેત્રે આગવા પ્રદાન કર્યા છે. તેમાં કે. ચંદ્રશેખરનું નામ મોખરે છે. તેમનું આખુ નામ કોમરાવોલુ ચંદ્રશેખરન્ હતું. તેમનો જન્મ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ખાતે ૧૯૨૦ ના નવેમ્બરની ૨૧ મી તારીખે થયો હતો. ગંતુર જિલ્લામાં માધ્યમિક શિક્ષણ પૂરુ કરી તેઓ ચેન્નાઇની પ્રેસીડેન્સી કૉલેજમાં એમ.એ થયા. બાળવયથી જ ગણિત પ્રત્યે તેમને રુચિ હતી. અભ્યાસ પૂરો કરીને તેઓ  ૧૯૪૩ માં મદ્રાસ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. અહીં જ તેમણે ઉચ્ચ અભ્યાસ કરીને પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી અને ત્યારબાદ પોતાની સેવા આપવા વિદેશ ગયા. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેઓ જોડાયા.

      ૧૯૪૯ માં તેમને હોમીભાભાએ તાતા ઇન્સ્ટીટ્યુટમાં જોડાવા આમંત્રણ આપ્યું. તેઓએતે સ્વીકારી લીધું અને તાતા ઇન્સ્ટીટ્યુટને વિશ્વની અગ્રણી શિક્ષણ સંસ્થા બનાવવામાં યોગદાન આપ્યું. ગણિત ક્ષેત્રના સંશોધનમાં ૨૪ વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણાં યોગદાન આપ્યા. ૧૯૬૬ માં તેઓ સરકારના વિજ્ઞાન સલાહકાર સમિતિના સભ્ય હતા. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કરીને તેમનું બહુમાન કરેલું.આ ઉપરાંત તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ અને રામાનુજન મૅડલ પણ એનાયત થયેલા. તેમણે નોટબુક ઓફ શ્રી નિવાસ રામાનુજમ પ્રસિદ્ધ કરવાનું મહાન કામ કરેલું. આ નોટબુકના કારણે શ્રી નિવાસ રામાનુજન સિધ્ધાંતાઓને વિશ્વવિખ્યાતી મળેલી અને તેનો ગણિતના અભ્યાસમાં આજે પણ ઉપયોગ થાય છે. ઇન્ડીયન મૅથેમેટીકલ સોસાયટીના મુખપત્રનું તેઓ સંપાદન કરતા હતા. ૧૯૬૫ માં તેઓ ફરી વિદેશ ગયા અને ઝુરીચમાં એક અગ્રણી શિક્ષણ સંસ્થામાં જોડાયા.તેમણે ગણિત ક્ષેત્રે આપેલા યોગદાન અને સંશોધનો વિશ્વમાં પ્રથમ હરોળમાં ગણાય છે.      

No comments: