Monday 28 January 2013

દેવાલય મહાશાળાઓ


દેવાલય  મહાશાળાઓ
            બૌદ્ધ વિહારોની જેમ વૈદિક પરંપરાનાં મંદિરો ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો બન્યા હોવાના પ્રમાણો  ૧૦ મા સૈકાથી મળે છે. પરંતુ આ પરિપાટી તેથી ઘણી વહેલી શરૂ થઇ હોવાનો સંભવ છે. ઇ.સ. આઠમી સદીના ઉત્તરાર્ધમાં આદિ શંકરાચાર્યજીએ ચાર મઠોની સ્થાપના કરી હતી. આ મઠો પણ અધ્યયન તેમજ અધ્યાપનના કેન્દ્રો બન્યા હતા. અગિયારમાં સતકમાં દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ, પાંડ્ય, ચૌલ વગેરે રાજાઓએ મંદિરો સાથે બંધાવેલા મંડપોમાં વૈદિક સાહિત્ય, વ્યાકરણ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવા દાનની પરંપરા આરંભી. શિલાલેખો અને તામ્રપત્રોના આધારે મંદિરોનું ક્રમશ: ઉચ્ચ શિક્ષણના કેન્દ્રોમાં રૂપાંતર થયું હોવાનું સમજાય છે. ઇ.સ. ૧૦૬૮ માં સિદ્ધેશ્વર મંદિરને રાજ્ય તરફથી દાન અપાયાનો શિલાલેખ મળ્યો છે.  ઇ.સ. ૧૦૭૨ માં ક્રિયાશક્તિ મંદિરમાં ૧૨ વ્યાખ્યાતા હોવાનો ઉલ્લેખ એક શિલાલેખમાં છે. આવી કેટલીક મંદિર મહાશાળઓનો પરિચય પ્રસ્તુત છે.
સલતોગી મંદિર મહાવિદ્યાલય- બિજાપુર જીલ્લાનું સલતોગી ગામ  ( ઇ.સ. ૧૦ મા અને ૧૧ મા શતકમાં ) વૈદિક પરંપરાનું પ્રસિદ્ધા વિદ્યાકેન્દ્ર હતું. અહીં, ત્રયીપુરુષના મંદિરના એક મોટા ખંડમાં સંસ્કૃત મહાવિદ્યાલય હતું. રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ ત્રીજાના  પ્રધાન નારાયણે આ મંદિર બંધાવેલું. દૂરદૂરથી વિદ્યાર્થીઓ આવતા.તેમને માટે ૨૭ આવાસો હતા. છાત્રાલયમાં દીવાબત્તીના ખર્ચ માટે ૧૨ નિવર્તન ( અંદાજે ૬૦ એકર જમીનની ઉપજ ) જમીન દાનમાં મળી હતી. વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભોજન આપવા ૫૦૦ નિવર્તનનું દાન મળેલું. ઓછામાંઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. મુખ્ય આચાર્યના વેતન માટે ૫૦ નિવર્તનનું દાના મળેલું. ગ્રામવાસીઓ પણ દરેક લગ્ન પ્રસંગે ૫ (પાંચ), ઉપનયન પ્રસંગે ૨.૫૦ અને બાબરી વખતે ૧૨૫ નિવર્તનનું દાન આપવાની પરિપાટી જળવતા. ઇ.સ. ૮૪૫ માં રાષ્ટ્રકૂટ રાજવીએ બંધાવેલ મંડપ તૂટી પડતાં એક ધનવાને ફરી બંધાવી  આપેલો.
તિરુમુક્કુદલ મંદિર મહાવિદ્યાલય- અગિયારમી  સદીમાં ચિંગલપુટ જીલ્લામાંવેંકેટેશ પેરૂમલ મંદિરમાં એક મહાવિદ્યાલય,એક છાત્રાલય અને એક દવાખાનું હતાં. આ મંદિરની સ્થાપના રાજા વીર રાજેન્દ્ર દેવ  ( ઇ.સ. ૧૦૬૨ ) ના દાન દ્વ્રારા થઇ હતી. નિ:શુલ્ક ભોજન-અહેઠાણની વ્યવસ્થા હતી. ઋગ્વેદ, યજુર્વેદ, વ્યાકરણ, પંચરાત્ર સંપ્રદાય, શૈવાગમ વિષયો માટે નિશ્વિત સંખ્યામાં પ્રવેશ અપાતો.સાત જગ્યાઓ વાનપ્રસ્થી અને  સંન્યાસીઓ માટે રખાઇ હતી. વિદ્યાર્થીઓને દર શનિવારે તૈલસ્નાનની પણ સગવડ મળતી હતી.
        વૈદિક શિક્ષકો ખંડ સમયના વ્યાખ્યાતા હોવાથી તેમને રોજના ત્રણ શેર ચોખા મળતા. વ્યાકરણના પૂરા સમયના વ્યાખ્યાતાને  રોજના આઠ શેર ચોખા આપવામાં આવતા. એણ્ણાયિરમ્ મંદિર કરતાં વેતન ઓછું હતું. સંસ્થાની આર્થિક સ્થિતી મુજબ વેતનો  રહેતાં તેવું સૂચન એમાંથી મળે છે. દવાખાનામાં એક ચિકિત્સક વૈધ, એક શૈલ્ય ચિકિત્સક (સર્જન) અને બે સહાયકો હતા.
તિરોવોર્રિયુર મંદિર મહા વિદ્યાલય-    તેરમા શતકમાં તિરુવોર્રિયુર ગામે એક મોટું વ્યાકરણ મહા વિદ્યાલય હતું. ( મદ્રાસ એપિગ્રાફિસ્ટનો રિપોર્ટ ) તેને વ્યાકરણ વ્યાખ્યાન મંડપ માટે મોટું દાન મળ્યાનો ઉલ્લેખ છે. એક દંતકાથા મુજબ અહીં ભગવાન શંકરે ચૌદ સુધી પ્રગટ થઇને પાણિનીને વ્યાકરણના પ્રથમ ૧૪ સૂત્ર શીખવ્યા હતાં.એને મહેશ્વર સૂત્રો કહે છે. એની સ્મૃતિમાં સ્થાનિક મહાજને  ૪૦૦ એકર જમીન દાનમાં આપીને મહાવિદ્યાલય શરૂ કર્યું હતું. તેમાં લગભગ ૪૫૦ વિદ્યાર્થી અને ૨૦-૨૫ અધ્યાપકો હતા. ૧૪ મા શતક સુધી તે ચાલું હતું.
મલ્કાપુરમ્ મંદિર મહાવિદ્યાલય-  ઇ.સ. ૧૨૬૮ નો મલ્કાપુરમ્ પાસેથી મળેલો  શિલાલેખ એક મંદિર,મહાવિદ્યાલય અને દવાખાનાના સંકુલનો ઉલ્લેખ કરે છે. લગભગ ૧૫૦ વિદ્યાર્થી અને આઠ અધ્યાપકો હતા. વેદ, આગમ, વ્યાકરણ, તર્ક, સાહિત્ય અને કેટલાક ધાર્મિકેતર વિષયો હતા. દવાખાના માટે એક વૈધ હતો. ભોજન, રહેઠાણ અને શિક્ષણ મફત હતું. અધ્યાપકને નિભાવ માટે જમીન ૧૦૦ નિષ્ક વેતન અપાતું હતું. આવાં બીજાં પણ મંદિર વિદ્યાલયો હતાં.     

No comments: