Friday 25 January 2013

વરાહ મિહિર


વરાહ મિહિર
             શું આ સત્ય છે? માનસિક પરિતાપ સાથે રાજા વિક્રમાદિત્યે મોટા મોટા પંડિતો જેમાં હાજર હતા પોતાની પંડિતસભાને પૂછયું. બધા ચૂપ થઇ ગયા.નીરવ શાંતિને તોડતાં મિહિર નામના ભવિષ્યવેતાએ કહ્યું,’હા મહારાજ, આ સત્ય જ છે, તમારા માટે ગમે તેટલું કડવું હોય તો પણ ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે કુમારનું મૃત્યુ માત્ર ૧૮ વર્ષની ઉંમરે થશે ? આ પછી વિક્રમાદિત્યે પોતાના પુત્રને બચાવવા દરેક પ્રકારની સાવચેતી રાખી, પણ ભવિષ્ય ભાખવામાં આવેલા દિવસે એક જંગલી ભુંડના પંજાએ કુમારને મૃત્યુવશ કર્યા.
                 આ સમાચાર સાંભળતાંજ રાજાએ મિહિરને બોલાવ્યો અને કહ્યું, હું હાર્યો, તું જીત્યો . મિહિરે વિનમ્રતાથી ઉતર વાળ્યો, મહારાજ ખરેખર તો હું નહી પણ ખગોળ અને ભવિષ્યશાસ્ત્રનું વિજ્ઞાન જીત્યું. રાજાએ કહ્યું, મારા આદરણીય ભવિષ્યવેતા, હવે મને ખાતરી થઇ કે તમારું વિજ્ઞાન એ બીજું કંઇ નહી પણ નર્યુ સત્ય જ છે. અને આ વિષયમાં તમારા પ્રભુત્વ માટે હું તમને મગધ દેશનો મોટામાં મોટો ઇલ્કાબ “ વરાહ “ તમને સાદર અર્પણ કરું છું. અને તે દિવસથી ભવિષ્યવેતા મિહિર વરાહમિહિર તરીકે ઓળખાયા. વરાહમિહિરનો જન્મ ઇ. સ. ૪૯૯ માં ઉજ્જૈન પાસે આવેલા કપિથા ગામમાં એક સામાન્ય બ્રાહમણ કુટુંબમાં થયેલો. તેમના પિતા આદિત્યદાસ ભગવાન સૂર્યના ઉપાસક હતા.તેમણે મિહિરને ભવિષ્યશાસ્ત્ર શીખવ્યું હતું. કુસુમપુરા (પટણા) ના પ્રવાસ દરમ્યાન વરાહમિહિરની મુલાકાત  આર્યભટ્ટ સાથે થઇ હતી. આ મુલાકાતનો પ્રભાવ એ પડયો કે તેઓ આજીવન ખગોળશાસ્ત્રી થઇ રહ્યા. સમય જતાં ભવિષ્યશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં તમણે કરેલાં પ્રદાનોની જાણ રાજા વિક્રમાદિત્ય (બીજા) ના ધ્યાનમાં આવી અને તેમણે વરાહમિહિરને પોતાના દરબારમાં નવ રત્નોમાં મહત્વનું સ્થાન આપ્યુ. આર્યભટ્ટની જેમ વરહમિહિરે પણ જહેર કરેલું કે , પૃથ્વી ગોળ છે. વિજ્ઞાનના ઇતિહાસમાં તેઓ સૌ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે નિર્દેશ કર્યો છે કે, તમામ ચીજોનું પૃથ્વી તરફ ખેચાવું એ કોઇ અજ્ઞાત બળને આભારે છે. સદીઓ પછી ન્યૂટને બળને ગુરુત્વાકર્ષણ તરીકે ઓળખાવ્યું છે.
                   વરાહમિહિર ઊંચી કક્ષાના વિદ્ધાન હતા. સંસ્કૃત વ્યાકરણ પર તેમનું સારું પ્રભુત્વ , આગવું પ્રભુત્વ હતું. ખગોળશાસ્ત્ર જેવા શુષ્કવિષયમાં પણ જીવંત રજૂઆત કરી શકનાર આ મહાન વિજ્ઞાની ઇ.સ. ૫૮૭ માં મૃત્યુ પામ્યા. એ અગાઉ પંચસિધ્ધાંતિકા, બ્રહ્મ સંહિતા અને બ્રહ્મ જાતક જેવા ભવિષ્યશાસ્ત્રના અમૂલ્ય વિવરણગ્રંથો તેઓ રચીને મૂકતા ગયા છે.     

No comments: