Thursday 27 June 2013

દેવાલય મહાશાળાઓ

દેવાલય  મહાશાળાઓ
         બૌદ્ધ વિહારોની જેમ વૈદિક પરંપરાનાં મંદિરો ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો બન્યા હોવાના પ્રમાણો  ૧૦ મા સૈકાથી મળે છે. પરંતુ આ પરિપાટી તેથી ઘણી વહેલી શરૂ થઇ હોવાનો સંભવ છે. ઇ.સ. આઠમી સદીના ઉત્તરાર્ધમાં આદિ શંકરાચાર્યજીએ ચાર મઠોની સ્થાપના કરી હતી. આ મઠો પણ અધ્યયન તેમજ અધ્યાપનના કેન્દ્રો બન્યા હતા. અગિયારમાં સતકમાં દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ, પાંડ્ય, ચૌલ વગેરે રાજાઓએ મંદિરો સાથે બંધાવેલા મંડપોમાંવૈદિક સાહિત્ય, વ્યાકરણ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવા દાનની પરંપરા આરંભી. શિલાલેખો અને તામ્રપત્રોના આધારે મંદિરોનું ક્રમશ: ઉચ્ચ શિક્ષણના કેન્દ્રોમાં રૂપાંતર થયું હોવાનું સમજાય છે. ઇ.સ. ૧૦૬૮ માં સિદ્ધેશ્વર મંદિરને રાજ્ય તરફથી દાન અપાયાનો શિલાલેખ મળ્યો છે.  ઇ.સ. ૧૦૭૨ માં ક્રિયાશક્તિ મંદિરમાં ૧૨ વ્યાખ્યાતા હોવાનોઉલ્લેખ એક શિલાલેખમાં છે. આવી કેટલીક મંદિર મહાશાળઓનો પરિચય પ્રસ્તુતછે.
સલતોગી મંદિર મહાવિદ્યાલય- બિજાપુર જીલ્લાનું સલતોગી ગામ( ઇ.સ. ૧૦ મા અને ૧૧ મા શતકમાં ) વૈદિક પરંપરાનું પ્રસિદ્ધા વિદ્યાકેન્દ્ર હતું. અહીં, ત્રયીપુરુષના મંદિરના એક મોટા ખંડમાં સંસ્કૃત મહાવિદ્યાલય હતું. રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ ત્રીજાના  પ્રધાન નારાયણે આ મંદિર બંધાવેલું. દૂરદૂરથી વિદ્યાર્થીઓ આવતા.તેમને માટે ૨૭ આવાસો હતા. છાત્રાલયમાં દીવાબત્તીના ખર્ચ માટે ૧૨ નિવર્તન ( અંદાજે ૬૦ એકર જમીનની ઉપજ ) જમીન દાનમાં મળી હતી. વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભોજન આપવા ૫૦૦ નિવર્તનનું દાન મળેલું. ઓછામાંઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. મુખ્ય આચાર્યના વેતન માટે ૫૦ નિવર્તનનું દાના મળેલું. ગ્રામવાસીઓ પણ દરેક લગ્ન પ્રસંગે ૫(પાંચ), ઉપનયન પ્રસંગે ૨.૫૦ અને બાબરી વખતે ૧૨૫ નિવર્તનનું દાન આપવાની પરિપાટી જળવતા. ઇ.સ. ૮૪૫ માં રાષ્ટ્રકૂટ રાજવીએ બંધાવેલ મંડપ તૂટી પડતાં એક ધનવાને ફરી બંધાવી  આપેલો.
એણ્નાયિરમ્ મંદિર મહાવિદ્યાલય : અગિયારમા સૈકાના આરંભમાં દક્ષિણ આરકોટ જીલ્લાના એણ્ણાયિરમ્ ગામમાં  એક વ્યવસ્થિત મહાવિદ્યાલય હતું. રાજેન્દ્ર ચોલ-પ્રથમના ઇ.સ.1023 ના શિલાલેખમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. વર્તમાન શિક્ષણસંસ્થાઓને મળતી આવે તેવી આ સંસ્થા હતી. તેમાં 340 વિદ્યાર્થી અને 16 અધ્યાપકો હતા. અભ્યાસક્રમ પહેલેથી નિશ્ચિત રહેતો.સ્થાનિક મહાજને દાનમાં આપેલી 300 એકર જમીનની આવકમાંથી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભોજન અને રહેઠાણ તથા અધ્યાપકોને વેતન અપાતું હતું. પ્રવેશના નિયમો હતા અને દરેક વિષય માટે નિશ્ચિત સંખ્યામાં પ્રવેશ અપાતો.ઋગ્વેદ,કૃષ્ણ અને શુક્લ યજુર્વેદ,સામવેદ, અથર્વવેદ, બૌધાયન ધર્મશાસ્ત્ર અને ધર્મસૂત્રો,વ્યાકરણ,મીમાંસા વગેરે ભણાવાતા હતા. દરેક વિષય દીઠ નિશ્ચિત અધ્યાપકો હતા.
            ભોજન માટે વિદ્યાર્થીને રોજના એક શેર ચોખા મળતા . કપડાંલત્તાં વગેરેમાટે વર્ષે 1/8 તોલો સોનું મળતું હતું. અધ્યાપકોને વેતનરૂપે દૈનિક 16 શેર ચોખા(પાંચ વ્યક્તિના કુંટુંબ માટેની જરૂર કરતાં ત્રણ ગણા) અને વર્ષે અર્ધો તોલો સોનું અપાતું હતું. તેમાંથી તેમનો અન્ય ખર્ચ નીકળતો.   
તિરુમુક્કુદલ મંદિર મહાવિદ્યાલય- અગિયારમી સદીમાં ચિંગલ્પુટ જીલ્લામાં, વેંકટેશ પેરૂમલ મંદિરમાં એક મહા વિદ્યાલય,એક છાત્રાલાય અને એક દવાખાનું હતાં. આ મંદિરની સ્થાપના રાજા વીર રાજેન્દ્રદેવ (ઇ.સ.1062) ના દાન દ્વ્રારા થઇ હતી. અહીં માત્ર 60 વિદ્યાર્થી હતા. નિ:શુલ્ક ભોજન-રહેઠાણની વ્યવસ્થા હતી. ઋગ્વેદ,યજુર્વેદ,વ્યાકરણ,પંચરાત્ર સંપ્રદાય,શૈવાગમ વિષયો માટે નિશ્ચિત સંખ્યામાં પ્રવેશ અપાતો. સાત જગ્યાઓ વાનપ્રસ્થી અને સંન્યાસીઓ માટે રખાઇ હતી. વિદ્યાર્થીઓને દર શનિવારે તૈલસ્નાનની પણ સગવડ મળતી  હતી.  
         વૈદિક શિક્ષકો ખંડ સમયના વ્યાખ્યાતા હોવાથી રોજના તેમને ત્રણ શેર ચોખા મળતા. વ્યાકરણના પૂરા સમયના વ્યાખ્યાતાને રોજના આઠ શેર ચોખા આપવામાં આવતા. એણ્ણારિયમ્ મંદિર કરતાં વેતન ઓછું હતું. સંસ્થાની આર્થિક સ્થિતિ મુજબ વેતનો રહેતાં તેવું સૂચન તેમાંથી મળે છે. દવાખાનામાં એક ચિકિત્સક વૈધ,એક શિલ્પ ચિકિત્સક(સર્જન) અને બે સહાયકો હતા.
તિરુવોર્રિયુર મંદિર મહાવિદ્યાલય-  તેરમા શતકમાં તિરુવોર્રિયુર ગામમાં એક મોટું વ્યાકરણ મહાવિદ્યાલય હતું(મદ્રાસ એપિગ્રાફિક્સનો રિપોર્ટ 1212-13 ના પૃ-110) તેને વ્યાકરણ વ્યાખ્યાન્મંડપ માટે મોટું દાન મળ્યાનો ઉલ્લેખ છે. એક દંતકથા મુજબ અહીંભગવાને ચૌદ દિવસ સુધી પ્રગટ થઇને પાણિનીને વ્યાકરણના પ્રથમ 14 સૂત્રો શીખવ્યા હતા.એને મહેશ્વરસૂત્રો કહે છે. એની સ્મૃતિમાં સ્થાનિક મહાજને 400 એકર જમીન દાનમાં આપીને મહાવિદ્યાલય શરૂ કર્યું હતું. તેમાં લગભગ 450 વિદ્યાર્થી અને 20-25 અધ્યાપકો હતા.14 મા શતક સુધી તે ચાલું હતું.
            મલ્કાપુરમ્ મંદિર મહાવિદ્યાલય- ઇ.સ.-1268નો મલ્કાપુરમ્ પાસેથી મળેલો શિલાલેખ એક મંદિર,મહાવિદ્યાલય અને દવાખાનાના સંકુલનો ઉલ્લેખ કરે છે. લગભા 150 વિદ્યાર્થી અને આઠ અધ્યાપકો હતા. વેદ,આગમ,વ્યાકરણ,તર્ક,સાહિત્ય અને કેટલાક ધાર્મિકેતર વિષયો હતા.દવાખાના માટે એક વૈધ હતો. ભોજન,રહેઠાન અને શિક્ષણ મફત હતું. અધ્યાપકને નિભાવ માટે જમીનઅને 100 નિષ્ક વેતન અપાતું હતું. આવાં બીજાં પણ મંદિર વિદ્યાલયો હતા.   

No comments: