Sunday 10 March 2013

સુખ દુ:ખ મનમાં ન આણીએ


સુખ દુ:ખ  મનમાં ન આણીએ,ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે,રઘુનાથનાં જડિયાં.સુખ..
નળરાજા સરખો નર નહિ,જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યાં,ન મળે અન્ન ને પાણી. સુખ..
પાંચ પાંડવ સરખાં બંધવા,જેને દ્રોપદી રાણી;
બાર બાર વરસ વન ભોગવ્યાં,નયણે નિદ્રા ન આણી.સુખ..
સીતા સરખી સતી કહિ,જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો,સતી મહાદુ:ખ પામી.સુખ..
રાવણ સરખો રાજિયો,જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી.સુખ..
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો,તારાલોચની રાણી;
તેને વિપત્તિ બહુ પડી ભર્યા નીચ ઘેર પાણી.સુખ..
એ વિચારી હરિને ભજો,તે સાય જ કરશે;
જુઓ આગે સાય ઘણી કરી,તેથી અર્થ જ સરશે.સુખ..
સર્વે કોઇને જ્યારે ભીડ પડી,સમર્યા અંતરજામી;
ભાવટ ભાગી ભૂધરે,મહેતા નરસૈંયને સ્વામી.સુખ..
 -નરસિંહ મહેતા

No comments: