Friday 23 January 2015

૬ ઠ્ઠી એપ્રિલ

પન્નાલલ પટેલ
               
          પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ૭-૫-૧૯૧૨ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ અને વતન રાજસ્થાનમાંના ડુંગરપુર જિલ્લાનું માંડલી ગામ હતું.. ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુર અને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી. એમની મદદથી અમદાવાદ ઈલેક્ટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર-રીડર તરીકે કામગીરી મળી. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક થયો  અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ કરવાની પેરણા મળી. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે પણ કમ કર્યું. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય ચાલું કર્યો અને સાથે સાથે લેખનપ્રવૃતિ પણ શરૂ કરી. ૧૯૪૭માં તેમને ક્ષયની બીમારી લાગુ પડી. ૧૯૫૮થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યોઅને લેખનના મુખ્ય વ્યવસાય સાથે જોડાયા. તેમને સાહિત્ય સર્જન માટે ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક પણ મળેલ છે. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ તરીકે પણ તેમને વરણી કરવામાંઆવી હતી. અને ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત પણ  કરવામાં આવ્યા હતા..    

        કવિતા સિવાયનાં સઘળાં સાહિત્યસ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર પન્નાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં પર્યાપ્ત ખ્યાતિ મળી છે. એમની જાનપદી પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામીણ પ્રજાના સુખદુ:ખના આલેખનનો સશક્ત પ્રારંભ થયો છે. પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે. દુષ્કાળનું આલેખન કરતી માનવીની ભવાઈતેમની કીર્તિદા કૃતિ છે. તેમની ગ્રામજીવન અને નગરજીવનનું આલેખન કરતી વાર્તાઓમાં માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળી છે. આ ઉપરાંત બાળસાહિત્ય, નાટક, આત્મકથા વગેરે સ્વરૂપોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ૬-૪-૧૯૮૯ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું.

No comments: