Sunday 22 June 2014

ઝંડુ ભટ્ટજી

વૈધરાજ ઝંડુ ભટ્ટજી
                  
           ઝંડુ ભટ્ટજીનો જન્મ જામનગરના પ્રશ્નોતરા નાગર પરિવારમાં વિક્રમ સંવત ૧૮૮૭ના વૈશાખ સુદ ૫ ને રવિવારના રોજ થયો હતો. પાંચ પુત્ર અને ચાર બહેનોમાં  ભટ્ટજી સહુથી મોટા હતા. તેમના પિતાનું નામ વિઠ્ઠલ ભટ્ટજી અને માતાનું નામ સૂરજકુંવર હતું. ઝંડુ ભટ્ટજીના પિતા જામનગરના રાજા જામ રણમલના રાજવૈદ હતા. હાદાવેદા ના નામે ઓળખાતા તેમના પૂર્વજો લગભગ ત્રણસો-ચારસો  વર્ષ પહેલા પશ્ચિમ કાઠિયાવાડના છોટા કાશી ગણાતા જામનગરમાં આવી નિવાસ કરેલો.
           જામ ભટ્ટજીનું મૂળ નામ કરૂણાશંકર હતું. પરંતુ માથાના વાળ ઝંડુ જેવા તેથી માતા એમને  ઝંડુ ના હુલામણા નામથી બોલાવતી, એટલે પછી ઝંડુ ભટ્ટજી નામ પ્રચલિત થઇ ગયું. નાનપણથી જ તેઓ તીવ્ર જિજ્ઞાસાવૃતિ ધરાવતા હતા. વિ.સ. ૧૮૯૮ માં તેમને જનોઇ આપીને અભ્યાસનો પ્રારંભ થયો. જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી મહીધર હરિભાઇ પાસે સંસ્કૃત નું જ્ઞાન મેળવ્યું. પિતાજી પાસેથી આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ સંસ્કૃતનો વિશેષ અભ્યાસ શાસ્ત્રી કેશવજી મોરારજી પાસે કર્યો. તેમને ચરક, સુશ્રુત અને વાગ્ભટના વૈદક ગ્રંથો પર અપાર ભાવ હતો.
           બાર વર્ષની વયે સાવરકુંડલાના માયારામ ભાટ્ટજીના પુત્રી પ્રભાકુંવર સાથે તેમના લગ્ન થયા.  સોળ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૦૩-૦૪ માં પિતાજીએ જામ રણમલની નોકરીમાં જોડી દીધા. સં. ૧૯૦૮ માં જામ રણમલ ગુજરી જતાં જામ વીભાજી ગાદીએ આવ્યા. તે સમયે તેમની સારવાર બાહોશીથી કરી અને તે જ દિવસે તેમને સાજા કર્યા. ત્યાર બાદ તે અરસામાં ભટ્ટજીની ખ્યાતિ સાંભળી એક યોગીરાજ ઉદરરોગની સારવાર માટે આવ્યા. ભટ્ટજીએ તેમને સાજા કર્યા અને બદલામાં યોગવિદ્યા શીખવવા માટે આગ્રહ કર્યો. વિ.સં. ૧૯૧૮ માં તેમના પિતાનું અવસાન થયું. તેમણે વૈદકનો સારો પ્રચાર કરવા માટે સુખદેવ મહાદેવની પ્રિય વાડીમાં વિ.સં. ૧૯૨૦ ના શ્રાવણ માસમાં જામસાહેબના સહકારથી તેમણે આયુર્વેદિક દવાઓનો ભંડાર,રસશાળા સ્થાપી. તેમણે પોતાની વાડીમાં ઔષધો રાખવાની સાથે સાથે દર્દીઓને રહેવાની સગવડ પણ ઊભી કરી. આમ આધુનિક હૉસ્પિટલનો ખ્યાલ ઝંડુ ભટ્ટજીએ આપ્યો.  
            વિ.સં. ૧૯૨૧ થી ૧૯૪૩ સુધીમાં મુંબઇ, રાજકોટ, ચૂડા, મોરબી, વઢવાણ અને માળિયામાં બીજી શાખાઓ ખોલી. ત્યારબાદ અમદાવાદમાં શ્રી દુર્લભજી શ્યામલ ધ્રુવ અને જટાશંકરભાઇની મદદથી સં.૧૯૪૫ માં રાયપુર ચકલાસામાં રસશાલાની શાખાઓ ખોલી. તેમની જીવન પ્રતિજ્ઞા હતી કે सिद्धे रसे करिष्यामि, निर्दारिद्र्यगतं जगत्। અર્થાત રસ સિદ્ધિ થતાં જગતને દરિદ્રતા તથા રોગથી રહિત કરીશ.
                      સં. ૧૯૩૧ માં જામસાહેબે ઝંડુ ભટ્ટજીને જામનગર શહેરના સુધરાઇના પ્રમુખ નીમ્યા. તેમણે સફાઇ અને સ્વસ્છતા માટે ઘણા કાર્યો કર્યા અને મૃત્યુપત્રકની નોંધ તેમણે શરૂ કરાવી. તેમણે લોકોને આરોગ્ય કેમ જાળવવું તે સમજાવવા જીવિત વર્ધક મંડળી સ્થાપી. વિ.સં. ૧૯૪૩ માં વૈદકને લગતા જ્ઞાનપ્રચાર માટે રસેશવૈદવિજ્ઞાન નામનું દ્વિમાસિક પણ શરૂ કર્યું. તેમણે જામનગરના દુર્લભ એવા બરડા ડુંગરના જંગલમાંથી વનસ્પતિના ઔષધિય ઉપયોગથી જામસાહેબને ખાસી ઉપજ અપાવી. આ બધા કારણોએ જામ વીભાની ભટ્ટજી પર પ્રિતી જાગી અને તેમનો પગાર વધારી આપ્યો સાથે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના પુત્ર શંકરપ્રસાદ ઝંડુને મળ્યા કરતો.
        નડિયાદમાં દેસાઇ બિહારીદાસના કુંટુંબમાં કોઇની બીમારીની સારવાર માટે ભટ્ટજી આવ્યા અને વીસ દિવસ રોકાયા. વૈશાખ વદ પાંચમને મંગળવારે સવારે આઠ વાગ્યે તેઓ દરદીઓને દવા આપી રહ્યા હતા ને દર્દ ઉપડ્યું અને આરામખુરશીમાં બેઠાબેઠા પંચત્વ પામ્યા.      


No comments: